ઇઝરાયલમાંની મૂર્તિપૂજાનો ઉઘડો

1ન્યાયી માણસ નાશ પામે છે, પણ કોઈ તે ધ્યાનમાં લેતું નથી

અને કરારના વિશ્વાસુપણાના લોકો દૂર એકત્ર થાય છે પણ કોઈ સમજતું નથી

કે ન્યાયી દુષ્ટતાથી દૂર એકત્ર થાય છે.

2તે શાંતિમાં પ્રવેશ કરે છે;

જેઓ સીધા ચાલે છે તેઓ પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે.

3પણ તમે જાદુગરના દીકરાઓ,

વ્યભિચારિણી તથા ગણિકાનાં સંતાન તમે પાસે આવો.

4તમે કોની મશ્કરી કરો છો?

તમે કોની સામે મુખ પહોળું કરો છો અને કોની સામે જીભ કાઢો છો?

શું તમે બળવાખોરનાં, કપટકરનારનાં સંતાનો નથી?

5તમે એલોનવૃક્ષ તથા દરેક લીલા વૃક્ષ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો અને પોતાના શરીરોને આવેશી કરો છો,

તમે સૂકી નદીને કાંઠે, ખડકોની ફાટ નીચે બાળકોને મારી નાખો છો.

6નાળાંમાંના સુંવાળા પથ્થરોમાં તમારો ભાગ છે. તેઓ તારી ભક્તિનો હેતુ છે.

તેઓને તેં પેયાર્પણ રેડ્યું અને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. શું આ બાબતોમાં મારે આનંદ કરવો જોઈએ?”

7તમે ઊંચા પર્વત પર બિછાનું પાથર્યું છે;

વળી બલિદાનો અર્પણ કરવા સારુ પણ તમે ઊંચે ચઢી જાઓ છો.

8બારણાં અને ચોકઠાંની પાછળ તમે તમારી નિશાનીઓ મૂકો છો;

તેં મારો ત્યાગ કર્યો છે, તું પોતાની જાતને નિર્વસ્ત્ર કરીને ઉપર ચઢી ગઈ; તેં તારું બિછાનું પહોળું કર્યું છે.

9તું તેલ લઈને રાજા પાસે ચાલી ગઈ; તેં પુષ્કળ અત્તર ચોળ્યું.

તેં તારા સંદેશવાહકોને દૂર સુધી મોકલ્યા; તું શેઓલ સુધી નીચે ગઈ.

10તારી યાત્રા લાંબી હોવાને લીધે તું થાકી ગઈ છે, પણ “કંઈ આશા નથી” એવું તે કહ્યું નથી.

તને તારા હાથમાં જીવન મળ્યું તેથી તું નબળી થઈ નહિ.

11તને કોની ચિંતા છે અને કોનાથી ભય લાગે છે, કે તેં કપટથી આ કાર્ય કર્યું છે?

તે મારું સ્મરણ રાખ્યું નથી અને ગંભીરતાથી મારો વિચાર કર્યો નથી.

હું લાંબા સમયથી છાનો રહ્યો હતો? પણ તેં મને ગંભીરતાથી લીધો નહિ.

12હું તારું “ન્યાયીપણું” જાહેર કરીશ પણ તારાં કામો,

તને મદદરૂપ બનશે નહિ.

13જ્યારે તું પોકાર કરે, ત્યારે તારી સંઘરેલી મૂર્તિઓ તને છોડાવે.

પરંતુ તેને બદલે વાયુ તે સર્વને ઉડાવી જશે, એક શ્વાસ પણ તેમને ઉડાવી મૂકશે.

છતાં જે મારામાં આશ્રય લે છે તે આ દેશનો વારસો પામશે અને મારા પવિત્ર પર્વતનું વતન પામશે.