સાર્વકાલિક શાંતિ

1આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી સંદર્શનમાં જે વાત પ્રગટ થઈ તે.

2છેલ્લાં દિવસોમાં, યહોવાહના ઘરનો પર્વત

બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે;

અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે.

3ઘણા લોકો જઈને કહેશે,

“ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના ઘર પાસે ચઢી જઈએ,

જેથી તે આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના માર્ગમાં ચાલીશું.”

કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી અને યહોવાહનાં વચન યરુશાલેમમાંથી નીકળશે

4તે વિદેશીઓમાં ઇનસાફ કરશે અને ઘણા લોકોનો ન્યાય કરશે;

તેઓ પોતાની તલવારોને ટીપીને હળના ફળાં અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે;

પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.

5હે યાકૂબના વંશજો, આવો, આપણે યહોવાહના પ્રકાશમાં ચાલીએ.