Select a Verse

પ્રભુના ગુણગાન

1યહોવાહની સ્તુતિ કરો.

ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં

હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ.

2યહોવાહનાં કાર્યો મહાન છે,

જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.

3તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે

અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.

4તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે;

યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે.

5તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે.

તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે.

6વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને

પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે.

7તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે;

તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે.

8તેઓ સદા સ્થિર રખાયેલી છે,

અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે.

9તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે;

પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે;

તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે.

10યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે.

જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે.

તેમની સ્તુતિ સર્વકાળ થશે.